Thursday, September 29, 2011

ભારતમાં ટપાલસેવાનો પ્રારંભ.


ભારતની સૌથી પહેલી ટપાલસેવા ૧૭ જાન્યુઆરી૧૭૭૪ના રોજ બંગાળ ખાતે શરૂ કરવામાં આવી હતી. બંગાળના ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના કાગળો લાવવા લઈ જવા માટે આ ટપાલસેવાની યોજના ઘડી હતી. શરૂઆતમાં તો કંપનીના કાગળોનો વ્યવહાર જ કરવામાં આવતો પરંતુ બાદમાં સ્થાનિક લોકોની ટપાલોના વિતરણ અને વહેંચણીની વ્યવસ્થા શરૂ કરવામાં આવી. જે ઈમારતમાં આ પોસ્ટ ઓફિસ શરૂ કરવામાં આવી હતી એ ઈમારત એક સમયે નવાબ સિરાજ-ઉદ-દૌલાની નૃત્યશાળા હતી. ૧ એપ્રિલ,૧૭૭૪થી જાહેર જનતાની ટપાલોને પહોંચાડવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું. આમ ૧ એપ્રિલ૧૭૭૪ના રોજ ભારતને તેની પહેલી પોસ્ટ ઓફિસ મળી. કોલકાતાથી મુંબઈઆંધ્રપ્રદેશમદ્રાસ વગેરે સ્થળોએ પણ ટપાલ પહોંચાડવામાં આવતી. કોલકાતાથી મદ્રાસ ટપાલ પહોંચાડવા માટે ૧૭ દિવસનો સમય લાગતો જ્યારે કોલકાતાથી મુંબઈ ટપાલ પહોંચાડવા માટે ૨૬ દિવસનો સમય લાગતો હતો. ટપાલ પહોંચાડવા માટે સામાન્ય જનતા માટે સો મિલે બાર આના રૂપિયા રાખવામાં આવ્યા હતા.
ટપાલ પહોંચાડવા માટે ઘોડાગાડી અને બળદગાડાનો ઉપયોગ કરવામાં આવતો. ૧૮૬૬માં રેલવેનો ઉપયોગ કરવાની શરૂઆત કરવામાં આવી. ૧૮૬૮માં જે ઈમારતમાંથી આ કામ સંભાળવામાં આવતું હતું તેના બદલે નવી ઈમારતમાં સ્થાનાંતરણ કરવામાં આવ્યું. આ ઈમારત એટલે કે નવી પોસ્ટ ઓફિસ બનાવવામાં ૬,૩૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ થયો હતો તેમજ ચાર વર્ષનો સમય લાગ્યો હતો અને ડબલ્યૂ. બી. ગ્રેનવિલે તેની ડિઝાઈન તૈયાર કરી હતી.