Wednesday, September 28, 2011

HEALTH DISCUSSION

સઃ અગમચેતીના પગલા એટલે શું?

જ: નિયમિત કસરત - ખોરાકનું ઘ્યાન રાખી એટલે કે કેલરીનો કંટ્રોલ રાખી વજન વધે નહીં તેનું ઘ્યાન રાખશો. તો બી.પી. અથવા ડાયાબીટીસ થવાની શક્યતા નહીંવત્‌ રહેશે. યુવાનીમાં આવશેમાં આવીને એવું કાંઈ કરશો નહી, જેથી માનસિક તનાવ ખૂબ વધે. અને દર વર્ષે નિયમિત મેડીકલ ચેકઅપ કરાવશો. અગાઉ કહેલી વાત યાદ રાખશો. વારસાગત કારણોમાં પણ ટકાવારી ૮૦ ટકા છે. તમે ૨૦ ટકામાં આવો એવા પ્રયત્ન કરશો.


સઃ મારા ઘ્યાનમાં એવી કેટલીયે વ્યક્તિઓ છે જે કોઈપણ બાબતમાં નિયમિત નથી. નોકરી કે ધંધાને હિસાબે ખુબ કામ કરવું પડતું હોય છે. આનાથી હાર્ટ એટેક આવે ખરો?

જ: જ્યારે વ્યક્તિ ૨૫ થી ૪૦ વર્ષ સુધીની હોય ત્યાં સુધી શરીર આવી અનિયમિતતા ચલાવી લે છે પણ મોટી ઉંમરે આનો બદલો શરીર જરૂર લે છે.

સ: વધારે ખવાયું હોય અથવા પેટમાં ગેસ થયો હોય ત્યારે હાર્ટબીટ કે છાતીમાં ભીંસ આવે તે અને હાર્ટ એટેક વચ્ચે ફેર શો?

જઃ આવું જ્યારે થાય ત્યારે નિષ્ણાત ડોક્ટરને બતાવી અને કાર્ડીયોગ્રામ લઈને નક્કી કરી શકાય.

સઃ પુરૂષોની સરખામણીમાં સ્ત્રીઓને હાર્ટ એટેક ઓછા કેમ આવે?

જઃ મેનોપોઝ આવે ત્યાં સુધી સ્ત્રીઓના શરીરમાં ઇસ્ટ્રોજનનું લેવલ ઉચું હોય છે જે હાર્ટ એટેક માટે રક્ષણ આપે છે. 

સઃ હાર્ટ એટેક માટેના ‘અગમચેતીના પગલા’માં નવી કોઈ વાત ખરી?

જઃ
૧. શરીરમાં કોઈપણ ઠેકાણે ચેપ કે સોજો આવે તો તેના જંતુ હાર્ટને નુકશાન કરે. આ માટે દાંતના અવાળાનો સોજો આવે તો કે શરદી થાય તો ‘હિમોસીસ્ટીન’ અને સી.ટી એક્ટીવ પ્રોટીનનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ.

૨. શરીરમાં કેલ્શ્યમનું પ્રમાણ ખાસ ચેક કરાવી લેશો. કારણ આનાથી હાર્ટની નળીઓમાં કેલ્શ્યમ ચોટીં જાય ત્યારે ક્લોટ થવાની શક્યતા વધે છે.

૩. શરીરમાં ફાઈબ્રીનોજનનું પ્રમાણ માપવું જરૂરી છે. જેથી ક્લોટ થવાની શક્યતાની ખબર પડે.

સ: સ્ટ્રેસ (માનસિક તનાવ)નું ખાસ કારણ કોઈ ખરું?

જઃ ટાઈપ-એ પર્સનાલીટી એ ખાસ કારણ ગણાય.

સઃ ટાઈપ-એ પર્સનાલીટી એટલે શું?

જઃ જે વ્યક્તિના મનમાં એવો જ ખ્યાલ હોય કે પોતે જે રીતે કામ કરે છે તેવું કામ - તે જાતનું કામ પોતે જ સારી રીતે કરી શકે, બીજું કોઈ ના કરી શકે - આને ટાઈપ-એ પર્સનાલીટી કહેવાય. આવા લોકો ઘણું બઘું કામ પોતે કરી ના શકે અને બીજાની પાસે કરાવ્યું હોય તેનાથી સંતોષ ના હોય એટલે સતત ટેન્શનમાં રહે અને પછી ‘વર્કોલ્હીક’ થઈ જાય માટે હાર્ટ એટેક આવે.

સઃ હાર્ટ એટેકને ફ્રી રેડીકલ સાથે કોઈ સંબંધ ખરો?

જઃ ફ્રી રેડીકલ થીઅરી એટલે શરીરમાં ખોરાક પાણી અને દવા મારફતે દાખલ થનારા ટોક્સીન અથવા દુષીત પદાર્થોને ‘ફ્રી રેડીકલ’ કહેવાય. આ ફ્રી રેડીકલ તમારા શરીરમાં હાર્ટ એટેક, કેન્સર, બી.પી. અને ડાયાબીટીસ જેવા દર્દો ઉત્પન્ન કરી શકે માટે તમારે તેનો નાશ કરવા ‘એન્ટી ઓક્સીડન્ટ’નો ઉપયોગ કરવો જોઈએ.
સઃ ‘એન્ટી ઓક્સીડન્ટ’ એટલે શું?

જઃ કુદરતી રીતે ખાવા પીવાના પદાર્થો જેવા કે લીલા શાકભાજી અને તાજા ફળફળાદિ, સુકો મેવો, દુધ તેલીબીયાં, વગેરેમાં ભરપુર પ્રમાણમાં મળે છે તે પદાર્થો ૧. વિટામિન એ (ગાજર-પીળી હળદર-કેરી-પપૈયુ-કોળુ-કોથમિર-કેરી વગેરે) ૨. વિટામીન સી (લીંબુ-આમળા-નારંગી-કોબી-કેરી-જામફળ) ૩. વિટામિન ઈ (દુધ-સુકોમેવો) ૪. મિનરલ્સ (કઠોળ-આખુ અનાજ) રોજ લેવા જોઈએ અને ઓક્સીજન જે તમે નિયમિત કસરત કરવાથી મળશે તેનો સમન્વય એટલે ‘એન્ટી ઓક્સીડંટ’ જે લેવાથી અને કરવાથી હાર્ટ એટેક સામે રક્ષણ મળશે.
સઃ હાર્ટ એટેકની અગમચેતી માટે કઈ તપાસ કરવી જોઈએ.

જઃ
૧. બોડીમાસ ઈન્ડેક્ષ ૧૯ થી ૨૪ સુધી રાખો

૨. બી.પી. (બ્લડપ્રેશર) નિયમિત તપાસ કરાવો. ૧૨૦/૮૦ નોર્મલ કહેવાય. ૩. લોહીની તપાસ કરાવો. ૧૨૦/૮૦ આ નોર્મલ કહેવાય.

૩. લોહીની તપાસ જેમાં લીપીડ પ્રોફાઈલ

૪. બ્લડ સુગર, સી-રીએક્ટીવ પ્રોટીન, હીમોગ્રામ હિમોસીસ્ટીન. ઈલેક્ટ્રો કાર્ડીઓગ્રામ, ટ્રેડમીલ ટેસ્ટ જેવી તપાસમાં એચ.એસ.સી. આર.પી. ટેસ્ટ એ.બી.આઈ. (એન્કલ બ્રોકીઅલ ઇન્ડેક્ષ) અને આઈ.વી.યુ.(ઈન્ટ્રાવાસ્ક્યુલર અલ્ટ્રા સાઉન્ડ) અને ૬૪ સ્લાઇસ સી.ટી. એન્જીઓગ્રામ કરાવી લેવા જોઈએ.
સ: હાર્ટ એટેક આવે એટલે ‘બાયપાસ સર્જરી’ કરાવવી જ પડે કે ચાલે?

જઃ મુળ વાત છે લાઈફ સ્ટાઈલની.

૧. કસરત કે શ્રમનો સદંતર અભાવ

૨. રોજીંદી દિનચર્યા-ખાવુ-ઉઘવું અને કુદરતી આવેગ (હાજત-બાથરૂમ)માં બિલકુલ અનિયમિતતા

૩. મેડીકલ ચેકઅપનો અભાવ

૪. માનસિક તનાવ સતત - આ બધા કારણો ધીરેધીરે દુર કરો તો નવા ક્લોટ થશે નહી. અને બાયપાસ કરાવવાની જરૂર ના પડે.

સઃ હાર્ટની નળીઓમાં ક્લોટ થવાની શરૂઆત ક્યારે થાય?

જઃ ૨૦ વર્ષથી શરૂ થાય. હાર્ટની મુખ્ય નળીઓમાં ૨૦ વર્ષથી ૪૫ વર્ષ સુધીમાં ક્લોટ વધતા વધતા ૨૦ ટકાથી ૭૦ ટકા સુધી પહોંચે. લાઈફ સ્ટાઈલ બદલવાથી નવા ક્લોટ થાય નહીં તો બાયપાસ સર્જરી કરાવવી ના પડે. ડોક્ટરો બાયપાસ સર્જરીનું નક્કી કરવા માટે ‘એન્જીઓગ્રાફી’ કરે છે. આ માટે નવી નવી પઘ્ધતીઓ શોધાઈ છે. આગળ જણાવ્યા પ્રમાણે ડોક્ટરો હૃદયની નળીઓમાં ક્લોટનું પ્રમાણ જોઈને બાયપાસ સર્જરીનું નક્કી કરે છે. સામાન્યથી માંડીને બધી જાતના છાતીના દુઃખાવા માટે ઈ.સી.જી., ટી.એમ.ટી. ઈકો કાર્ડીઓગ્રામ, ડોપલર અને છેલ્લે એન્જીઓગ્રાફી કરવાનો રીવાજ છે. અગમચેતીના પગલા લીધા ના હોય અને ઓચંિતો દુઃખાવો થાય ત્યારે ડોક્ટરો પાસે ગયા વગર છુટકો ના થાય પછી તે કહે તે પ્રમાણે કરવું પડે.

હાર્ટ એટેક માટે હવે કોન્ઝર્વેટીવ સારવારમાં
૧. શરૂમાં આરામ
૨. પછી ધીરે ધીરે થોડી કસરત મેડીટેશન અને ટેન્શન ઓછું કરવાના ઉપાયો કરવાથી ‘બાયપાસ’ નિવારી શકાય છે.
સઃ અત્યારે આખા જગતમાં ‘બાયપાસ સર્જરી’નું પ્રમાણ કેમ વધી ગયું છે?

જઃ ડોક્ટર અને દર્દી બન્ને આ બાબતમાં પુરા જવાબદાર છે.

સઃ કઈ રીતે?

જઃ દર્દીને ‘શોર્ટ કટ’ જોઈએ છે અને ડોક્ટરને ‘ફાસ્ટ બક’ (જલ્દી કમાવું છે) જોઈએ છે.

સઃ ઉપરની બાબતમાં સુધારો થઈ શકે?

જઃ પહેલાં દર્દીની વાત કરીએ. સામાન્યમાં સામાન્ય વ્યક્તિથી માંડી સમાજમાં અગ્રગણ્ય અને ભણેલા તેમજ પૈસાદાર લોકોને આજના જમાનામાં પહેલાં બિમાર પડી પછી તેનો ઉપાય શોધવાની ટેવ પડી છે. પહેલાના જમાનામાં સંતોષ હતો જે અત્યારે નથી. રોજીંદા જીવનમાં જાણે અજાણે શ્રમ અથવા કસરત આવતી હતી. માનસિક તનાવ પહેલા સામાન્ય હતો અત્યારે ઘરઘરમાં છે. રોગ ના થાય માટે કયા પગલા લેવા તે વિષેની આજની ફાસ્ટ લાઇફમાં જાણકારી નથી એટલે એલોપથીના શરણે જાય છે.

બીજી વાત ડોક્ટરોની કરીએઃ
દરેકને ઘર છે અને ઘર ચલાવવાનું છે. સતત નવી નવી દવાઓ અને ઉપચારો શોધાયા કરે છે. આખા અંગો બદલાવી નાખવાની શોધો થઈ છે. દર્દીને દર્દમાંથી રાહત જોઈએ છે. ડોક્ટરોને દર્દમાંથી આરામ તાત્કાલીક આપવાની ફાવટ આવી છે. આમ જોઈએ તો દરેક ડોક્ટર પોતાના દરદ અંગેના જ્ઞાન-નિદાન અને ઉપાયનો જાણકાર છે. પણ બેઝીકલી પૈસાનો લોભી નથી. પણ એ ‘દરદ’ની દવા કરે છે. ‘દરદી’ની દવા કરવાનો એની પાસે સમય નથી. આ બધી વસ્તુઓ જોતાં ડોક્ટરો દર્દીના જાનનું જોખમ એટલે મૃત્યુની ગણતરી કરી એનો તાત્કાલીક ઉપાય સુચવે છે. આ કારણથી બાયપાસ સર્જરીના કિસ્સા વધી ગયા છે.
સઃ તમારી સલાહ હાર્ટ એટેક ના આવે માટે શું છે?

જઃ એક ઉદાહરણ આપું તો તમે બઘુ સમજી જશો અને બીજા ‘અગમચેતીના પગલા’ (આગળ જણાવેલા) લીધા હશે તો હાર્ટ એટેક નહી આવે. દા.ત. એક ઘરમાં પતિ છે, પત્ની છે. પતિના બાપ (સસરો) અને પતિની મા (સાસુ) છે. બે દિકરા છે અને બે દિકરી છે. ઘરની બધી જવાબદારી પત્નીની હોય તે સ્વાભાવિક છે.

૧. નાનો દિકરો ખાવાનું માગે - માને રસોડામાં જવું પડે.
૨. મોટો દિકરો નોકરીએ જાય ત્યારે ટીફીન લઈને જાય માટે - માને ટીફીન ભરવા જવું પડે. ૩. નાની બેબી માને કહે મને ભણાવ. મારી પરીક્ષા છે - માને ભણાવવા બેસવું પડે.
૪. મોટી બેબીને નવી સાડી પહેરવી છે - માને સાડી પહેરાવવા જવું પડે.
૫. સસરાને ચા પીવી છે - માને (વહુને) રસોડામાં જવું પડે.
૬. સાસુને પગ દબાવવા છે - માને (વહુને) દબાવવા પડે.
૭. પતિ ઓફીસેથી ફોન કરે છે કે આજે છ જણાને જમવા બોલાવ્યા છે - માને તૈયારી કરવા જવું પડે.

હવે છેલ્લે સરખામણી પણ જોઈ લો.
૧. પત્ની (વહુ-મા) - હૃદય ૨. પતિ (દિકરો-બાપ) - મગજ ૩. બન્ને દિકરી - બે હાથ ૪. બન્ને દિકરા - બે પગ ૫. સાસુ (પતિની મા) - હોજરી ૬. સસરો (પતિનો બાપ) - ફેફસાં આગળ દરેક અંગના સ્વરૂપના કામ બતાવ્યા છે. હવે આગળ વાંચો.

વિઠ્ઠલભાઈને હાર્ટ એટેક આવ્યો - કેમ?
૧. વધારે વજન
૨. શારીરિક શ્રમ નામે મોટુ મીડું.
૩. ખાવાપીવાનો ખૂબ શોખ
૪. પૈસેટકે ખુબ સુખી -

આખા દિવસનો કાર્યક્રમ.
૧. ફાવે ત્યારે સુવું- ફાવે ત્યારે ઉઠવું.
૨. કસરત કોઈ પણ નહીં. રોજ સવારે ડ્રાઈવર આવે ત્યારે ૧૦ વાગે ઓફીસે જાય અને ૧ વાગે પાછા આવે. જમી આરામ કરે. ૨-૩૦ વાગે ડ્રાઈવર આવે એટલે પાછા ગાડીમાં ઓફીસે જાય, સાંજે પાછા આવે. એક વખત બપોરે જમીને આરામ કરવા જતા હતા ત્યારે એમના ઇન્કમટેક્સના વકીલનો ફોન આવ્યો કે તમારા રીટર્નમાં ગરબડ છે માટે તાત્કાલીક ઈન્કમટેક્ષ ઓફિસમાં સાહેબને મળવા જવું પડશે.

૧. ભય લાગ્યો - મગજને લોહી જોઈએ. (પતિ)
૨. જમીને બેઠા હતા - હોજરીને લોહી જોઈએ. (સાસુ)
૩. ચાલીને જવું પડ્યું - હાથ અને પગને હલાવવા અને ચલાવવા (ડ્રાઈવર નહોતો આવ્યો) લોહી જોઈએ (બે દિકરા-બે દિકરી) ૪. થોડુ ચાલતાં શ્વાસ ચઢ્‌યો - ફેફસાને લોહી જોઈએ. (સસરો) આ બધા અંગોને લોહી પહોંચાડે - હૃદય - (પત્ની). આ દાખલા પ્રમાણે મોટી ઉંમર સુધી હૃદયને કોઈપણ શારીરિક કે માનસિક કામ કરવામાં થાક ના લાગે એટલે કે પત્ની બધા કામને પહોંચી વળે એવું કરવું હોય, ટુંકમાં હાર્ટ એટેક આવે નહી તેવું કરવું હોય તો હૃદયને મજબુત કરો.
સઃ મારે આજીવન તંદુરસ્ત રહેવા માટે શું કરવું જોઈએ?

જઃ આટલું અવશ્ય કરો - સોગન્દ ખાઓ અથવા વ્રત લો.
૧. મનને ગમતી, સરળ, શરીરને તંદુરસ્ત બનાવે તેવી કસરત નિયમિત આખી જીંદગી કરશો. લાફીંગ ક્લબની કસરત કરો.
૨. માનસિક તનાવ વધે એવો કોઈપણ જાતનો વ્યવહાર વર્તન કે વાણી નહી કરો. વર્તમાનમાં જ રહેશો.

૩. સમતોલ-પૌષ્ટીક-દુષિત પદાર્થો રહીત ખોરાક લેશો.