
દૂરબીન - કૃષ્ણકાંત ઉનડકટ
વિકસિત દેશોનો મૂડીવાદ નિષ્ફળ ગયો છે તેની ચર્ચાઓ ચાલી છે. દુનિયાએ વિકાસ કર્યો છે એવી વાતો થાય છે તો પછી માણસ કેમ વધુને વધુ દુઃખી, ઉદાસ અને નારાજ થઇ રહ્યો છે? સવાલ એ પણ ઊભો થાય છે કે આખી દુનિયાએ જે રસ્તો લીધો હતો એ શું ખોટો હતો? અને જો એ રસ્તો ખોટો હતો તો પછી સાચો રસ્તો કયો છે? શું આપણે જે અગાઉ છોડી દીધો હતો એ જ સાચો રસ્તો હતો?
માણસ આજે કેટલો સુખી અને ખુશ છે? સો વર્ષ પહેલા માણસ વધુ સુખી હતો કે આજનો માણસ વધુ સુખી છે? જો એક સદી અગાઉનો માણસ વધુ સુખી હતો તો પછી અત્યાર સુધી આપણે જેને વિકાસ કહીએ છીએ તેનો શું લાભ થયો? આખી દુનિયાનું અર્થતંત્ર ખાડે જવા બેઠું છે. દરેક દેશનું આર્થિક રેટિંગ ધીમે ધીમે ડાઉન જઇ રહ્યું છે અને તેની સાથે જ સુખ, ખુશી, આનંદ, સહજતા અને સરળતા પણ ગુમ થતી જાય છે. અર્થશાસ્ત્રીઓ અર્થતંત્રની ચિંતા કરી રહ્યા છે અને સમાજશાસ્ત્રીઓ માનવીય મૂલ્યો અને સમાજની ઉપાધિ કરી રહ્યા છે. સવાલ એ થાય કે આટલો ઉત્પાત કર્યા પછી માણસને શું મળ્યું? ઉચાટ, ટ્રેસ, પ્રેશર, નારાજગી, ગુસ્સો, ચિંતા અને સતત સતાવતી રહેતી સમસ્યાઓ જ? જિંદગી અને સુખની વ્યાખ્યાઓ જ બદલવી પડે તેવો સમય આવ્યો હોય એવું આખી દુનિયા અત્યારે અનુભવી રહી છે. દોડી દોડીને થાકી તથા હાંફી ગયેલી દુનિયાને લાગે છે કે આપણે ખોટી દિશામાં દોડી રહ્યા હતા! આખી દુનિયા અત્યારે વિચિત્ર પરિસ્થિતિમાંથી પસાર થઇ રહી છે. મંદીમાંથી બહાર આવી ગયાની લાગણીઓ થતી હતી ત્યાં ફરીથી વિકરાળ મંદી મોઢું ફાડીને સામે ઊભી હોય એવા અણસાર વર્તાઇ રહ્યા છે. મજાની વાત એ છે કે આખી દુનિયાએ ફરીથી ભારતની પ્રાચીન આર્થિક અને માનવીય વ્યવસ્થા તરફ નજર માંડવી પડે તેવો સમય આવી રહ્યો છે.
આપણે આધુનિક ચોક્કસ થયા છીએ પણ આપણા પૂર્વજો આપણાથી વધુ ડાહ્યા, સમજુ, હોશિયાર, સુખી અને ખુશ હતાં એવી વાતો ફરીથી ચર્ચામાં છે. સામ્યવાદ તો વીસ-પચીસ વર્ષ પહેલાં જ નિષ્ફળ અને નકામો સાબિત થઇ ગયો હતો અને હવે મૂડીવાદ પણ અસફળ થઇ રહ્યો હોવાની વાતો આખી દુનિયામાં ચર્ચાનું કારણ બની છે. સાધનો અને સુવિધાને જ વિકાસ સમજતો માણસ વધુને વધુ દુઃખી, હેરાન અને પરેશાન થઇ રહ્યો છે.
અમેરિકા, ઇટાલી અને ગ્રીસનું અર્થતંત્ર ખખડી ગયું છે. ૧૭ દેશોનો યુરોઝોન ચિંતામાં છે. ભારતમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું રેટિંગ ડાઉન ગયું છે. ભારતમાં મોંઘવારી અને ભ્રષ્ટાચારના કારણે ઊહાપોહ છે, છતાં આખી દુનિયાના અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતો કહે છે કે ભારતની દશા સારી છે અને દિશા સાચી છે. આંખો મીંચીને મૂડીવાદી અર્થતંત્રના રવાડે ચડેલી દુનિયાને હવે ચાણકયની આર્થિક નીતિઓ સમજવાની ફરજ પડે તેવી પરિસ્થિતિ ઊભી થઇ છે.
આજથી પચીસ-પચાસ વર્ષ અગાઉ એવો પ્રશ્ન પૂછવામાં આવતો કે માણસને સુખ અને શાંતિથી જીવવા માટે શું જોઇએ? તો એનો સીધો અને સટ જવાબ મળતો કે રોટી, કપડાં અને મકાન. આજે આ પ્રશ્નનો જવાબ બદલાઇ ગયો છે. હવે માણસને માત્ર રોટી, કપડાં અને મકાનથી ચાલતું નથી. હવે માણસને જીવવા માટે કાર, મોબાઇલ, એરકન્ડિશનર, ટેલિવિઝન, વોશિંગ મશીન, ફ્રીજ, ઓવન, આઇપોડ, કોમ્પ્યૂટર અને ઇન્ટરનેટ જોઇએ છે. જનરેશન હવે ઉંમરથી નહીં પણ ટેકનોલોજીથી બદલાય છે. થ્રી-જી અને ફોર-જીની વાતો હવે ઇન્ટરનેટની ફાસ્ટ, ફાસ્ટર અને ફાસ્ટેસ્ટ સ્પીડથી મપાય છે. બધુ જ ફટાફટ થવું જોઇએ. આખી દુનિયા જ જાણે મોબાઇલમાં સમાઇ ગઇ છે. કંઇપણ કામ હોય તો એક જ વાત, મોબાઇલ છે ને!
લેટેસ્ટ આઇફોન ફોર અને ફાઇવમાં એક સગવડ છે, હવે આઇફોન જ તમારો કાડિયોગ્રામ કાઢી આપશે. આઇફોન તમારી છાતીએ અડકાડશો એટલે એ તમારો કાડિયોગ્રામ બતાવશે કે તમારા હૃદયના ધબકારા કઇ ગતિએ ચાલે છે. આ વાત સાંભળીને એક વ્યક્તિએ કહ્યું કે આ મોબાઇલના કારણે જ તો કાડિયોગ્રામની જરૂર ઊભી થઇ છે! માણસ ઇચ્છે ત્યારે ઘડીના છઠ્ઠા ભાગમાં દુનિયાના કોઇપણ છેડે બેઠેલો માણસ સાથે વિડિયો ટોક કરી શકે છે. દુનિયા નાની અને નાની બનતી જાય છે, આખું ગ્લોબ જાણે એક ગામડું બની ગયું છે અને સામા પક્ષે માણસ-માણસથી જ દૂર થતો જાય છે એવી ચિંતા સમાજશાસ્ત્રીઓ અને માનસશાસ્ત્રીઓ કરી રહ્યા છે.
આટલા વર્ષો અર્થતંત્રમાં ઠેબા ખાધા પછી અંતે દળી દળીને ઢાંકણીમાં જેવી હાલત થઇ છે અને સવાલ એ થયો છે કે માણસ જાત સરવાળે તો સુખી થવાને બદલે દુઃખી જ થઇ રહી છે! આપણે ખરેખર વિકાસ જ કર્યો છે કે બીજું કંઇ?
અમેરિકામાં ઓગસ્ટ મહિનામાં રોજગારી ઊભી થવાનું પ્રમાણ ઝીરો પરસન્ટ હતું. સપ્ટેમ્બરમાં પણ સ્થિતિ સુધરી નહીં, ઓકટોબર તો અંધાધૂંધી સર્જે તેવો આવ્યો છે. અમેરિકા,યુરોપિયન કન્ટ્રીઝ સહિત આખી દુનિયાને આવતી ક્રિસમસ આ સદીની સૌથી આકરી ક્રિસમસ હશે એવું લાગી રહ્યું છે. અમેરિકામાં જબરજસ્ત બેકારી ફેલાઇ રહી છે. અમેરિકાના બેકાર યુવક-યુવતીઓએ ‘વોલ સ્ટ્રીટ પર કબજો કરો’ની ચળવળ શરૂ કરી છે. છેલ્લા વીસ દિવસથી બેકાર યુવાનો વોલ સ્ટ્રીટ પર આવેલા એક બગીચામાં ભેગા થાય છે અને કોર્પોરેટ જગતની લાલચુ વૃત્તિ અને સરકારની ગેરવાજબી નીતિઓ સામે દેખાવો કરી રહ્યા છે. આ બગીચાનું જ નામ જ હવે લિબર્ટી પાર્ક પડી ગયું છે. એ લોકોની એક જ માગ છે,અમને કામ આપો. સરકાર કામ આપી શકે એવી હાલતમાં નથી. ઇતિહાસ ગવાહ છે કે વિશ્વની સૌથી મોટી ક્રાંતિઓ ભૂખના કારણે થઇ છે. આખી દુનિયાનો માણસ રઘવાયો થયો છે. કોઇને સમજાતું નથી કે શું થવા બેઠું છ!
અત્યારે વિશ્વમાં એક નવો વિવાદ શરૂ થયો છે. એ વિવાદનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું મૂડીવાદ નિષ્ફળ ગયો છે? અને જો મૂડીવાદ નિષ્ફળ ગયો તો પછી કયો વાદ સાચો છે? કયો વાદ અને કઇ વિચારસરણી દુનિયાને બચાવશે? ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના રિસર્ચ વિભાગના નિષ્ણાત અને અર્થશાસ્ત્રી ઓલિવર બ્લેફોર્ડ કહે છે, વિશ્વની અર્થવ્યવસ્થા ઝડપથી ઘટતા વિકાસ સાથે એક ખતરનાક દોરમાં પહોંચી છે. વિકસિત દેશોની આર્થક વ્યવસ્થા સુધારવા જે પ્રયત્નો થયા છે તે નિષ્ફળ ગયા છે. વિશ્વના દેશોએ સાથે મળીને આ વૈશ્વિક આર્થિક સંકટમાંથી બહાર નીકળવાના ઉપાયો શોધવાની જરૂર ઊભી થઇ છે.
આઇ.ઇ.સી.ડી.ના ટૂંકા નામે જાણીતી સંસ્થા ઓર્ગોનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશનના મહાસચિવ ખોસે અંકલે ગૂરિયો કહે છે કે મૂડીવાદ દરેક ક્ષેત્રમાં અસફળ રહ્યો છે. જો કે તેમાં વાંક મૂડીવાદનો નથી પણ દુનિયાની આર્થિક વ્યવસ્થા સંભાળતી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો છે. આંતરરાષ્ટ્રીય આર્થિક સંસ્થાઓ તેની ભૂમિકા, ફરજો અને જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ ગઇ છે. એ લોકોને કારણે આર્થિક સંકટ ઊભું થયું છે, આર્થિક સંકટ આપણને આર્થિક અપંગતા તરફ ઢસડી ગયું અને આ અપંગતાએ બેરોજગારીનું નિર્માણ કર્યું. તેઓ કહે છે કે બજારને સંપૂર્ણ રીતે નિયંત્રણમુક્ત કરી દેવાનું આ પરિણામ છે. મૂડીવાદનો સિદ્ધાંત છે કે બજાર વ્યવસ્થાને સારી અને સરખી રીતે ચાલવા દેવામાં સરકારી હસ્તક્ષેપ ઓછામાં ઓછો હોવો જોઇએ પણ તેનો મતલબ એવો નથી કે સરકારોએ બજાર વ્યવસ્થામાં કોઇ જ હસ્તક્ષેપ ન કરવો. દરેક દેશોની સરકારે અર્થ વ્યવસ્થાને સંપૂર્ણ રીતે ખુલ્લા બજારના હાથમાં સોંપી ન દેવી જોઇએ.
જો કે હોંગકોંગ સ્થિત ગ્લોબલ ઇન્સ્ટિટયૂટ ફોર ટુમોરોના સંસ્થાપક ચંદ્રન નાયર તો સોય ઝાટકીને કહે છે કે મૂડીવાદ નિષ્ફળ ગયો છે. તેઓ કહે છે કે આર્થિક વિકાસનો મતલબ એ નથી કે બધાને ઇલેકટ્રોનિક રમકડાં અને કાર મળી જાય. સાચો આર્થિક વિકાસ એ છે કે માણસને સારી જિંદગી મળે. મૂડીવાદ માટે હવે આગળનો કોઇ રસ્તો બચ્યો નથી એટલે આખી દુનિયાને હવે નવી આર્થિક વિચારસરણીની જરૂર છે.
આ આખા વિવાદ વિશે સાંદિપની ઇન્સ્ટિટયૂટ ઓફ ઇકોનોમિક રિસર્ચના ડિરેકટર અને જાણીતા ગુજરાતી અર્થશાસ્ત્રી પ્રો. આર.સી. પોપટ કહે છે કે હા, મૂડીવાદ નિષ્ફળ ગયો છે અને તેના માટે અમેરિકન સરકારની બેજવાબદાર નીતિઓ અને અમેરિકન તથા યુરોપિયન લોકોનો ભૌતિકવાદ જવાબદાર છે. અમેરિકન સરકારે યુદ્ધ અને વોર અગેઇન્સ્ટ ટેરરિઝમના નામે આંધળુંકીયા કર્યા અને દેશ લથડી ગયો. સામાપક્ષે અમેરિકન લોકો આંધળા ઉધારીકરણમાં પડી ગયા. બધુ જ હપ્તે લઇ લો અને મજા કરો એ જ લોકોનો સિદ્ધાંત બની ગયો. લોકોની કમાણીના ૭૦ ટકા રકમ તો મકાન, કાર અને બીજી ચીજવસ્તુઓના હપ્તા ભરવામાં જ જતી હતી. લોકોની નોકરીઓ ગઇ એટલે હપ્તા ભરી ન શક્યા, બેંકોએ આડેધડ લોનો આપી એટલે બેંકો નાદાર થઇ. હપ્તા ન ભરી શકનાર લોકો રોડ પર આવી ગયા. આવા બેકાર લોકો અત્યારે સરકારને જ આ બધી હાલત માટે જવાબદાર ઠેરવે છે.
અમેરિકન અને વિકસિત દેશોએ કંટ્રોલ્ડ કેપિટાલિઝમ એટલે કે નિયંત્રિત મૂડીવાદ અપવાનાનવવાની જરૂર હતી, જે કંઇ અનિયંત્રિત હોય એ નિષ્ફળ જ જાય. પ્રોફેસર આર. સી. પોપટ ઉમેરે છે કે, વિશ્વ પાસે આજે સૌથી શ્રેષ્ઠ રસ્તો ભારતના પ્રાચીન વૈદિક સમાજવાદનો છે. આપણી અર્થવ્યવસ્થા જ આપણી સંસ્કૃતિ હતી. જેના સિદ્ધાંત હતા કે, પછેડી એટલી જ સોડ તાણવી, મતલબ કે દેવું ન કરવું. બીજો સિદ્ધાંત હતો કે આવકમાંથી ઓછામાં ઓછી ૨૦ ટકા બચત કરવી અને ત્રીજો સિદ્ધાંત હતો કે ગરીબો અને દાન માટે દસ ટકા રકમ વાપરવી. જો આખી દુનિયા આ ત્રણ વાતનો અમલ કરે તો અત્યારે જે હાલત ઊભી થઇ છે એ કયારેય ન થાય. ભારત મંદીમાંથી બચી જાય છે અને આપણને મંદીની ઓછી અસર થાય છે તેનું સૌથી મોટું કારણ આપણી બચત અને ત્રેવડ મુજબના ખર્ચની આવડત જ છે. એટલું જ નહીં સુખ, ખુશી ને આનંદ અંગેની ભારતીય ફિલોસોફી પણ આખી દુનિયાએ વહેલી કે મોડી સ્વીકારવી જ પડશે.
સુખની વ્યાખ્યા નવેસરથી વિચારવી પડે એવો સમય છે. માત્ર ભૌતિક વિકાસ સુખ આપી ન શકે. માનવીય મૂલ્યો અને આત્મીય સંબંધો જ સરવાળે માણસને સુખ અને આનંદની અનુભૂતિ કરાવે છે, એવી જૂની ઇન્ડિયન ફિલોસોફી સાચી હોવાનું બહાર આવતું જાય છે. ભારત દુઃખી થયું હોય તો તેનું કારણ પણ સરવાળે એ જ છે કે આપણે આપણા મૂલ્યોની અણદેખી કરી આધુનિક્તાવાદનું આંધળું અનુકરણ કર્યું. આપણે અને આખી દુનિયાએ અંતે આપણા જ રસ્તે પાછું ફરવું પડે તેવી સ્થિતિ છે અને આજે નહીં તો કાલે આપણે આપણો એ જ જૂનો છતાં સાચો માર્ગ અપનાવ્યા સિવાય છૂટકો જ નથી.